જન્મ 17-5-1858 – નડિયાદ
અવસાન 1-4-1898 – વડોદરા
ગુજારે જે શિરે તારે
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જુઠી વાણી વિશે જો દુ:ખ વાસે છે,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.
કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે.
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
ન સારા કે નઠારાની જરાએ સંગતે રહેજે.
સ્હેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે.
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાએ ભલાઇની મહાલક્ષ્મી ગણી લેજે.
રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે,
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે.
અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું?
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.
લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.
વફાઇ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઇ પળે જાજે.
રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે.
પ્રભુના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.
કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે.
મઝા લેજે.
બાળાશંકર કંથારિયા જીવન ઝાંખી: On Gujarati Sarswat Parichay (maintained by Sureshbhai Jani)