ગુજરાતી મુક્તકો
Gujarati Muktako — ટૂંકી ગઝલ અને શાયરી
જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું 'મેહુલ' અહીં
જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં
સુરેન ઠાકર 'મેહુલ' (Suren Thakar 'Mehul')
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
સુરેન ઠાકર 'મેહુલ'
એક વિતેલા સમયની પળને પંપાળું જરા
ફૂલની છે આંખ ભીની સહેજ એ ખાળું જરા
લાવ, ચાદર ઓઢીએ આ રાતના અંધારની
સ્વપ્નના સૂરજથી મારી ઊંઘ અજવાળું જરા
ગોપાલ શાસ્ત્રી (Gopal Shashtri)
પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું'તું
તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી
રજૂ કરવા હ્રદયના દર્દને મથતો હતો એ તો
વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી
મનહરલાલ ચોકસી
જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દ્રષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું
મનહરલાલ ચોકસી
મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે
ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે
માળાની ઝંખના નથી મારા વિહંગને
મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે
કરસનદાસ લુહાર (Kavi Karsandas Luhar)
દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો
ઘણા ઊજળા ગણાતા માણસો સૂરજ ડૂબી જાતા
છૂપીને રેશમી જુલ્ફોમાં જઈ પરબારા ઊતરે છે
પરંતુ એમની ટીકા નહીં કરજો કે સદીઓથી
સફેદ આકાશ પરથી રાતના અંધારા ઊતરે છે
અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું
ચૂડીઓ તૂટી ગુલામીની હણાયા ચોટલા,
હાથ લાગ્યા જ્યારથી સ્વરાજ કેરા રોટલા;
નિતનવા કાંઈ કાયદાથી ફાયદા એવા થયા,
આમ જનતાના જુઓ નીકળી ગયા છે ગોટલા.
— બેકાર
હું શું કહું કે ક્યાં હું મથામણમાં જઈ ચડ્યો
પિંજરથી નીકળ્યો તો પળોજણમાં જઈ ચડ્યો
ઘાયલ નિરાંત કેવી આ હતભાગી જીવને
અકળાયો ખોળિયામાં તો ખાંપણમાં જઈ ચડ્યો
— અમૃત ઘાયલ
જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું
ઉતારું છું પછી થોડુંઘણું એને મઠારું છું
તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ
— ઉમ્મર ખૈયામ (અનુ: "શૂન્ય" પાલનપુરી)
એક શાયર છું જીવન-કર્મોથી ના અજ્ઞાન છું
વેદનો પણ છું ઉપાસક, કારીએ કુઅરાન છું
કિંતુ જો ઈમાનની પૂછો તો આસિમ સાંભળો
હું ન હિન્દુ છું, ન મુસ્લિમ છું, ફક્ત ઈન્સાન છું
— આસિમ રાંદેરી