મનુભાઇ ત્રિવેદી (Manubhai Trivedi)

અવગતની એંધાણી

અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
કે ચાતક પીએ એંઠું પાણી.

રાજના રાજ એવા મેઘરાજાને ઘર
એની પરબ મંડાણી;
સોનેરી દોરથી ને હેમલા હેલથી
રૂપેરી ધાર રેલાણી:
હે સંતો, તો ય તરસ ન છિપાણી
કે ચાતક પીએ એંઠું પાણી.

માનસર છોડીને આવ્યો હું હંસલો
માછલીએ મન આણી !
ચતુર ચકોરની ચૂકીને ચાંદની
આગિયે આંખ ખેંચાણી !
હે સંતો, આતમજ્યોતિ ઓલવાણી
કે ચાતક પીએ એંઠું પાણી.

કળિયુગ કેરો વ્યાપ્યો મહિમા,
સંતની નિષ્ફળ વાણી;
દાસીય નો’તી મનમોલમાં એ થઇ
માયા આજ મહારાણી !
હે સંતો, આવે પ્રલય લો જાણી,
કે ચાતક પીએ એંઠું પાણી.

- સરોદ ( મનુભાઇ ત્રિવેદી )  :   કવિ પરિચય