હરીવર ઉતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.
ફુંક હરીએ હળવી મારી, ગાયબ ખળભળ લુ,
શ્વાસ હરીના પ્રસર્યા, માટી સ્વયં બની ખુશબુ ,
ખોંખારો હરીએ ખાધો ને વાદળ ગરજ્યા ઘોર;
સ્હેજ વાંસળી હોઠ અડાડી, ટહુક્યા મનભર મોર.
ત્રીભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ-ચમકાર;
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.
વાદળમાં ઘોળાયો હરીનો રંગ સભર ઘનશ્યામ;
હરી-પગલે આ ગલી બની શ્રાવણનું ગોકુળગામ.
પ્રેમઅમલરસ હરીને હૈયે, તેનું આ ચોમાસું
નામસ્મરણને શબ્દે શબ્દે નભ ને નેણથી વહેતાં આંસુ.
મેઘધનુષમાં મોરપીચ્છના સર્વ રંગ સાકાર;
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.
- ભગવતીકુમાર શર્મા
આ ગીત અત્યંત સુંદર સ્વર-રચનામાં સુરતના નયના ભટ્ટ અને હરીશ
ઉમરાવના મધુર કંઠે ગવાયેલું છે. આ સ્તુતી-ગીત સાંભળીએ ત્યારે પ્રતીતી થાય
છે કે, આવા શબ્દો પરાવાણીમાંથી જ નીપજે. આવી સ્તુતી હૃદયના પુર્ણ ભાવથી
ગવાય તો જ તેને પ્રાર્થના કહેવાય. આ ગીત ગવાતું સાંભળી વેદકાળના બહુ પુજ્ય
દેવ - વરૂણનું આવાહન થતું આપણે અનુભવી શકીએ છીએ.
અંતરની વાણીને
ઉજાગર કરતા શબ્દો, ગરજતા અને વરસતા મેઘને અનુરુપ
સંગીત અને તેવા જ મીજાજથી સભર, ઝમકદાર સ્વર આ
ગીતને ગુજરાતી સુગમ
સંગીતનું એક અમુલ્ય નજરાણું બનાવી દે છે.
——————————
આદરણીય
શ્રી. ભગવતીભાઇનો તેમની રચનાઓ ઉંઝા જોડણીમાં નેટ ઉપર પ્રસીધ્ધ
કરવા માટે અમે આભાર માનીએ છીએ.
સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી;
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી.
કોઈ રાગમાં નથી કે કશા દ્વેષમાં નથી;
આ લોહી છે કે બર્ફ? જે આવેશમાં નથી.
હું શબ્દમા જીવું છું, ફક્ત શ્લેષમાં નથી;
જો કે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી.
ભણકાતા મારા મુત્યુની ચીંતા નહીં કરો;
મુળથી જ જીવવાની હું ઝુંબેશમાં નથી .
કીંચીત્ હતી, ક્યારેક છે ને શુન્ય પણ થશે;
મારી તરલ હયાતી જે હંમેશમાં નથી .
બે શબ્દ પ્રાર્થનાના કહી ચુપ થઈ ગયો;
આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.
- ભગવતીકુમાર શર્મા
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
અમે વારસાગત સમસ્યાના માણસ.
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.
‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.
અમે ટચ્ચ ટૂંપાતા
ટહુકાના માણસ.
હતા આપણે મૂળ તડકાના
માણસ.
[ મંદાક્રાંતા – પેટ્રાર્ક શાઇ સોનેટ ]
‘તાંબાલોટો ભરી તુલસીને પાણી પાયું ખરું કે?
જોજો પાછું ભૂલી નવ જતા વ્યર્થ જંજાળ આડે!
રે’શે મારાં તુલસી તરસ્યાં, પાંદડાં ઓસવાશે.
એકેયે ના પરણ ચૂંટજો જીવતું છોડવેથી;
કૂંડામાં જે ખરી –ગરી પડ્યાં હોય તે માત્ર લેજો;
રાજી રે’શે પ્રભુ, ઝળહળશે દીપ સૌભાગ્યનો યે.’
નિત્યે માના મુખથી સ્રવતા શબ્દ ભીનાભરેલા;
વૃન્દા-વિષ્ણુ-પરિણય લિયે કાર્તિકે ધન્યતાથી.
ધ્રુજે દીવો, અરવ કણસે ખંડ, લંબાય ઓળા;
મૂગું મૂગું ધસી રહ્યું કશું ભક્ષી લેવા પિતાને
સૂતેલા જે ક્ષીણ થઇ; બધે ડૂસકાં કૈં થીજેલાં.
અર્ધા ખુલ્લા જનકમુખમાં કંપતે હાથ માતા
મૂકે લીલું પરણ તુલસીનું ભીડીને હોઠ સૂકા
આયુષ્યે જે ઉર સીંચી ઉછરેલ તે છોડ કેરું !
- ભગવતીકુમાર
શર્મા જીવન
ઝાંખી