કવિ નિરંજન ભગત (Kavi Niranjan Bhagat)

kavi nirnjan bhagat

નામ: નિરંજન નરહરિભાઇ ભગત

જન્મ: 18 - મે , 1926 ; અમદાવાદ
More Information on Nirjanbhai Bhagat at Gujrati Sarswat Parichay.


ફરવા આવ્યો છું

                     

હું તો બસ ફરવા આવ્યો છું!

હું  ક્યાં  એકે  કામ  તમારું   કે   મારું  કરવા  આવ્યો   છું?

                       

અહીં પથ પર શી મધુર હવા

ને  ચ્હેરા  ચમકે  નવા નવા!

- રે ચહું ન પાછો  ઘેર જવા!

હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

                                 

જાદુ    એવો    જાય   જડી  

કે  ચાહી  શકું બે  ચાર  ઘડી

ને  ગાઈ  શકું બે  ચાર  કડી

તો ગીત પ્રેમનું આ  પૃથ્વીના  કર્ણપટે  ધરવા  આવ્યો  છું!

                                

નિરંજન ભગત (Niranjan Bhagat)

                       

અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર

સંપાદન: ચંદ્રકાન્ત શેઠ

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com      



હરી ગયો - નિરંજન ભગત (Niranjan Bhagat)

હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ!

એ તો મુજ કંઠે બે કરથી વરમાળા રે ધરી ગયો!

સપનામાંયે જે ના દીઠું,
એ જાગીને જોવું
આ તે સુખ છે કે દુ:ખ મીઠું?
રે હસવું કે રોવું?

ના સમજું તોયે સહેવાતું એવું કંઈ એ કરી ગયો!
હરિવર મુજને હરી ગયો!

નિરંજન ભગત

નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના (એનબીએમટી) વિવિધ ઉદ્દેશોમાંનો એક અગત્યનો ઉદ્દેશ છે, નિરંજન ભગતના સાહિત્યને વીજાણુ (ઇલેક્ટ્રોનિક) માધ્યમમાં પ્રગટ કરવાનો અને એકત્ર ફાઉન્ડેશન મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. આ બે પ્રતિષ્ઠાનના સહયોગથી નિરંજન ભગતનું સમગ્ર સાહિત્ય વીજાણુ માધ્યમમાં જગત સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રકલ્પ આકાર લઇ રહ્યો છે. આ સહયોગના પ્રથમ સોપાન સ્વરૂપે નિરંજન ભગતનું અમૂલ્ય ગદ્ય પ્રકાશન, ‘સ્વાધ્યાયલોક’ (૮ ભાગમાં) આપની સમક્ષ પ્રસ્તુત કર્યાં છે. 

હવે ‘બૃહત છંદોલય’, વર્ષોથી અપ્રાપ્ય ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’, ‘સાહિત્યચર્યા’ તેમ જ નિરંજન ભગત સંપાદિત નરસિંહથી ન્હાનાલાલ અને શ્રેષ્ઠ બળવંતરાય પ્રસ્તુત કરીએ છીએ. 

ભવિષ્યમાં શ્રાવ્ય (ઓડીઓ) પુસ્તકો પ્રસ્તુત કરવાની યોજના પણ છે. આ પ્રકલ્પમાં સહયોગ અને સંમતિ માટે એનબીએમટી અને એકત્ર નિરંજન ભગત પરિવારના ઋણી છે.

ટ્રસ્ટીમંડળ - એનબીએમટી
એકત્ર ફાઉન્ડેશન